Thursday, December 23, 2010

ઈર્ષ્યા જ્યારે આળસ મરડે

ઈર્ષ્યા જ્યારે આળસ મરડે;
ખાર તો શું, ખુદ ફૂલો કરડે.

ધોઇ નાખ્યા હાથ સ્વજનથી,
કોણ હવે શત્રુમાં ખરડે?

ભૂલ્યા કેમ ભુલાશે મિત્રો?
ઘાવ હજુ તાજા છે બરડે!

ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ -
જાન ગયો છે એક ઉઝરડે.

મેરુનો મહિમા ગાનારા,
અંજાયા છે એક ભમરડે!

કહેશે કોણ ઝવેરી તમને?
ફેંકી દીધાં રત્ન ઉકરડે!

રાખ્યું નામ અમર એથી શું?
કોને છોડ્યો મોતના ભરડે?
-: અમર પાલનપુરી

No comments: