Wednesday, January 12, 2011

થોડા દુઃખી હોવું તે સુખી હોવાની નિશાની છે

Taken from "Sandesh" News paper. Sent to me by a friend.

થોડા દુઃખી હોવું તે સુખી હોવાની નિશાની છે.....

આપણે દિવસે દિવસે વધુ ને વધુ આળા થતા જઈએ છીએ. આપણે નાની નાની વાતમાં દુઃખી થઈ જઈએ છીએ. માણસો તરફ કડવાશ થતી અને ધોવાઈ જતી, પણ જિંદગી તરફ ભાગ્યે જ કડવાશ થતી. આજના માનવીને તો જિંદગી આખી જ કડવી લાગે છે.
આજનો માણસ નાની એવી વાતમાં પણ ઉશ્કેરાઈ જાય છે, ટેન્શન અનુભવે છે અને ન કરવાનું કરી બેસે છે. આધુનિક માનવી એ સ્વીકારવા જ તૈયાર નથી કે અમુક દુઃખો જીવન સાથે અનિવાર્યપણે સંકળાયેલાં છે. વાત વાતમાં એ કોર્ટે ચડે છે, પાડોશીઓ સાથે અને સહકાર્યકર્તાઓ સાથે ઝઘડાઓ કરે છે. ભાગીદારો સાથે વાંધાઓ પાડે છે, દુનિયા આખીને નફરત કરે છે. ટેન્શન દૂર કરવા માટે ટીકડીઓ ખાય છે, અનેક સુખ-સગવડો વચ્ચે આપઘાત પણ કરે છે.
આધુનિક માનવીમાં બીજા સાથે સહકારથી જીવવાની ક્ષમતા દિવસે દિવસે ઘટતી જાય છે. સહકારથી જીવવા માટે માણસે કેટલુંક જતું કરવું પડે છે. કેટલુંક ભૂલી જવું પડે છે. આજના માનવીને એ ગમતું નથી, પરંતુ બીજી બાજુ માણસ સમાજમાં જીવે છે એટલે એકબીજા સાથે સહકાર અને સમાધાનથી જીવવાનું એના માટે અનિવાર્ય હોય છે. આવી નાનીનાની વાતોમાં એને લાગી આવે છે અને પડેલા ઘાને એ સતત કોતર્યા કરે છે અને એની સીધી ખરાબ અસર એના સહજીવન ઉપર પડે છે. કદાચ ભૂતકાળમાં ક્યારેય નહોતી એવી કટોકટીભરી સ્થિતિમાં લગ્નસંસ્થા આવી ગઈ છે. ગૃહકંકાસ અને લગ્નજીવનને લગતા અસંખ્ય કેસો કોર્ટોમાં પડયા છે. જેમાં સહકાર અને પ્રેમની જરૂર છે ત્યાં કાયદો લડાવવામાં આવે છે. લાગણી અને પ્રેમના પ્રશ્નો કાયદો ઉકેલી શકતો નથી.
અગાઉની જિંદગી અનેક અછતોથી ઘેરાયેલી હતી. સાધનોનો મોટો અભાવ હતો. પુરુષો સવારથી કામે લાગી જતા. પગે ચાલીને કે ગાડામાં મુસાફરી કરતા. અનેક હાડમારીઓ વેઠીને જીવતા, પણ જિંદગી તરફ તેમને વારંવાર કંટાળો આવી જતો નહોતો, યુવાનો અવારનવાર ડિપ્રેશનમાં ડૂબી જતા નહોતા, આજે સુખી કુટુંબના માણસો ખાલીપો અનુભવે છે એવો ખાલીપો પણ એ અનુભવતા નહોતા.
આધુનિક મનુષ્યને ઘણું બધું પ્રાપ્ત કરવું છે પણ કસોટીમાંથી પસાર થવું નથી. કોઈ પણ પરિસ્થિતિનો વિચાર કરીએ ત્યારે એના લાભોનો વિચાર કરીએ અને એની સાથેની જવાબદારીનો વિચાર જ ન કરીએ તો એ કેવું? એમાં રહેલી ફરજો અને કસોટીઓનો વિચાર જ ન કરીએ તો કેવું? કસોટીઓ અને ફરજોથી નાસતા રહેવાથી શું વળે? આપણે એ સ્વીકારવું જોઈએ કે દરેક લાભ સાથે એવડી જ જવાબદારી સંકળાયેલી હોય છે અથવા દરેક સુખ સાથે એવડી જ કસોટી જોડાયેલી હોય છે.
કાચી માટીના ઘડામાં પાણી લાંબો સમય રહી શકતું નથી. ઘડો ફસકી જાય છે. જીવનના જામને ધારણ કરવા માટે ઘડાને ટીપાવું પડે છે અને અગ્નિમાં શેકાવું પડે છે. એ એક અનિવાર્યતા છે. એનાથી દૂર ભાગવાનું નિરર્થક છે.
ઘડા જેવું જ લાકડાનું છે. લાકડાનો ઉપયોગ કરતાં પહેલાં એને તડકામાં રાખવું પડે છે. પછી જ તે સિઝન્ડ બને છે.
દિવસે દિવસે, આપણે ‘સીઝનિંગ’ની આ સહજ પ્રક્રિયાથી દૂર નાસી રહ્યા છીએ. દુઃખમાં સામેથી કૂદી પડવાની જરૂર નથી, પરંતુ જે માણસ જીવનનાં સામાન્ય દુઃખોથી નાસતો જ રહે છે એ જીવનને સારી રીતે જીવી શકતો નથી. કેટલાંક દુઃખો આપણી જિંદગીનો જ એક ભાગ હોય છે. એનાથી દૂર ભાગનાર માણસ જિંદગીનો ભાર ઉપાડવા માટે ખમતીધર બની શકતો નથી.
સુખના સાગરમાં સતત મહાલતા રહેવાની એષણા જ માણસને પલાયનવાદી અને પાંગળો બનાવી દે છે. માણસે તો જિંદગીના અનેક તડકાછાંયામાંથી પસાર થવાનું છે, એમાં ક્યારેક ચિંતા વિના, ફરિયાદ વિના, ઉશ્કેરાટ વિના થોડા દુઃખી હોવું તે સુખી હોવાની નિશાની છે.
-: મોહમ્મદ માંકડ

Review: Mohammad Mankad has never been my fav. This again proves here. Though it says some philosophy about life. But the title and the last line does not match with whole para. Is any one against the view ?

No comments: