Monday, September 6, 2010

હુંફાળો સ્પર્શ કાનને કરી

હુંફાળો સ્પર્શ કાનને કરી અને પછી સુણો;
હું જે કહું છું વાત એમાં ભારોભાર તથ્ય છે.
સવાલ એ નથી એ માનવી કે કોઇ મત્સ્ય છે;
બધાંની ભિતરે કશેક એક તત્વ દિવ્ય છે,

શું સર્વતા ને શૂન્યતા, શું અલ્પતા ને ભવ્યતા,
શું સ્થિરતા, પ્રવાહિતા શું સામ દામ દંડ ભેદ!?
ન કૈંજ સ્પર્શ થાય છે, અનોખો અર્થ થાય છે,
એ સંત છે ને સંતને ન અંત છે ન મધ્ય છે.

‘ભલે હો સૂર્ય જેમ શ્વાસ તોય આખરે જુઓને
આથમી જવાનું હોય છે અતિક્રમી બધું,’
સ્વભાવગત આ વાત છે સ્વિકારવું – નકારવું,
કરૂણતાઓથી ભર્યું જિવનનું આ જ સત્ય છે.

ઘડીક સુખ મળે અને ઘડીક પીડ અવતરે;
ઘડીક કૂંપળો બને, ઘડીકમાં એ પણ ખરે!
બધું જ એક ચક્ર જેમ કાયમી ફર્યા કરે;
ક્ષણીક હોય છે બધું - અહીં કશું ક્યાં નિત્ય છે ?

કરૂણતા જુઓ કૃતિ વિશે જ મૌન છે સતત;
વિવેચકોની દ્રષ્ટિઓય લીન છે સ્વરૂપમાં
છે એજ ધ્યેય આખરી ‘કવિત્વ’ એમાં જોઇએ;
સવાલ એ નથી પછી ‘એ ગદ્ય છે કે પદ્ય છે’!
-: જિગર જોષી ‘પ્રેમ’

No comments: